આ મહોત્સવથી થનારી આવકનો ઉપયોગ સમાજના વિકાસમાં વપરાશે. હાલ જે સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ ચાલે છે, તે માટે ખુબ ઓછી રકમ આપી શકાય છે. તેમાં યોગ્ય વધારો થશે. અત્યાર સુધીમાં કન્યા કેળવણી પાછળ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. તેથી કુમારો કેળવણીમાં પાછળ રહેતાં જણાયા છે. હવે કન્યાઓ સાથે કુમારોને પણ કેળવણી માટે પ્રોત્સાહીત કરવામા આવશે. ગુજરાતભરમાં યોગ્ય જગ્યાઓએ કેળવણી સંકુલ બનાવવાનું વિચારાયું છે. કૃષિ સંકુલ માટે પણ યોજના વિચારી છે. સમાજને વ્યસન મુકત કરવો, સાંસ્કૃતિક વારસો જાળવવો અને વડીલો યોગ્ય સન્માનથી જીવી શકે, તેવા પ્રયત્નો થશે. ધંધાકીય વિકાસ માટે પણ શક્ય મદદરૂપ થવાનો ખ્યાલ છે.
શહેરમાં વસતો સમાજ અને ગામડામાં વસતા સમાજનું સંકલન સાધવાના પ્રયત્નો પણ કરવાનો ખ્યાલ છે.
આ રીતે સમયના પરિવર્તન સાથે ૨૧ મી જ્ઞાનની સદીમાં સમાજ પ્રગતિ કરતો રહે અને પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે – તેવા ખ્યાલ સાથે આ રજત જ્યંતી મહોત્સવ ઉજવાશે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ યુ.પી.અને જ્યાં જ્યાં કુર્મિ ક્ષત્રિયો વસે છે તે સર્વ જાતિ ભાઇઓ સાથે વિશેષ નાતો બંધાય, તેવા પ્રયત્નો થશે. છેક યુ.પી., બિહાર, ઓરિસ્સા, નેપાળ સુધી રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી મા ઉમિયાનો પ્રભાવ વધી રહ્યો છે. મા ઉમિયાની ધજા નીચે આ સર્વ જાતિ ભાઇઓ એક બને અને પ્રગતિ સાધે – તેવો પ્રયત્ન બની રહેશે. આ માટે આ સર્વ વિસ્તારોમાં જ્યોતિરથનું પરિભ્રમણ પણ થઇ શકશે. જેના દ્વારા એકતા અને ભાઇચારો વધશે. |